મગફળી કૌભાંડ: આ કારણે પરેશ ધાનાણીએ ગાંધી આશ્રમ ખાતે ઉપવાસ મોકૂફ રાખ્યા
૪ હજાર કરોડના મગફળી કૌભાંડમાં ન્યાયિક તપાસની માગ સાથે ગુરુવારથી ગાંધી આશ્રમની સામે વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અન્ન ત્યાગ કરી ૭૨ કલાકના ઉપવાસ શરૂ કર્યા હતા, જોકે મોડી સાંજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજયેપીના નિધનના અહેવાલ આવતાં, હાલ પૂરતો આ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો અને સાંજે પારણાં કર્યા હતા. વિપક્ષ નેતાએ આ તબક્કે મૌન પાળી વાજયેપીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વિધાનસભાના વિપક્ષ નેતાએ ૭૨ કલાકના ઉપવાસનો પ્રારંભ કર્યો ત્યારે પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. વિપક્ષ નેતાએ મગફળી કૌભાંડ અંગે આક્ષેપ કર્યો હતો કે, આ કૌભાંડના તાર મુખ્યમંત્રીના કાર્યાલય સુધી જઈ રહ્યા છે. સરકારે જે પાંચ એજન્સીઓની નિમણૂક કરી હતી તેમણે ભ્રષ્ટાચાર આચર્યો છે.
દરમિયાન મગફળી કાંડ અંગે ગુજરાત કોંગ્રેસે માગણી કરી છે કે, સમગ્ર કૌભાંડમાં પૂર્વ કૃષિ મંત્રી ચીમન સાપરિયા સામે પણ તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ. મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું છે તેમ કહેતા કોંગ્રેસે ઉમેર્યું કે સામે ભાજપે ભ્રષ્ટાચાર આચરી દેશમાં ગુજરાતનું માથું નીચું કરાવ્યું છે.